-
Today 08-04-2025 01:42:pm
અમદાવાદના વટવામાં હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે મહાકાય ક્રેન ધરાશાયી થતા બે લોકોને ઈજા પહોંચી છે. તેમજ બાજુમાંથી પસાર થતી રેલવે લાઇનને અસર પહોંચતા 25 ટ્રેન રદ કરવામાં આવી છે અને 11 ટ્રેનને રિશિડ્યુલ અને ડાયવર્ટ કરવામાં આવી છે. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નેશનલ હાઇસ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળે પહોંચ્યા હતા. મહાકાય ક્રેન પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ છે. ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર-અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઇ હતી. હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ-વડોદરા-મુંબઇ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનોના સમય બદલાય છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.