-
Today 25-06-2025 09:35:pm
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલીવાર દેશના સરહદી જિલ્લા કચ્છ ખાતે પધાર્યા હતા. વડાપ્રધાનએ ભુજ ખાતેથી રૂ. ૨૩૨૬ કરોડના ૧૮ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ. ૫૧,૦૮૮ કરોડના ૧૫ કામોનો શિલાન્યાસ કરતા કુલ મળીને રૂ. ૫૩,૪૦૦ કરોડથી વધુના વિકાસપ્રકલ્પોની રાજ્યને ભેટ આપી છે. ભુજના ટાઇમ સ્ક્વેર સામેના મેદાનમાં ભારત માતા કી જયના ઘોષ વચ્ચે વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ પણ પરિસ્થિતિમાં આપણા દેશનો તિરંગો ઝૂકવો જોઈએ નહીં. વડાપ્રધાનએ કચ્છીમાડુઓને સ્થાનિક મીઠી બોલીમાં આવકાર આપીને જણાવ્યું હતું કે, કચ્છના લોકો સરહદના સંત્રીઓ છે. પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાનએ "કિં આંયો કચ્છી" શબ્દોથી કચ્છીમાડુઓના હાલચાલ પૂછ્યા હતા. કચ્છી સપૂત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્માને નમન કરીને વડાપ્રધાનએ ઉમેર્યું કે, કચ્છની દેશદેવી મા આશાપુરાના આર્શીવાદથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થઈ છે. કચ્છ સાથે પોતાના સંબંધોને યાદ કરીને વડાપ્રધાનએ કહ્યું હતું કે, કચ્છીમાડુઓનો અપાર પ્રેમ મને અવારનવાર કચ્છ ખેંચી લાવે છે. કચ્છના ખૂણેખૂણે જવાનો અવસર પ્રાપ્ત થયો એ વાતનો આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાનએ કચ્છના લોકોનો આત્મવિશ્વાસ તેમના જીવનને પ્રેરણા આપનારો ગણાવ્યો હતો. નર્મદા નદીના પાણી થકી કચ્છમાં આવેલા આમૂલ પરિવર્તનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે, સદીઓથી પાણીની તંગીનો સામનો કરતા કચ્છમાં મા નર્મદાના નીરના અવતરણથી દિવાળી જેવો પ્રસંગ સર્જાયો હતો. એક સમયના સૂકા મલક ગણાતા કચ્છમાં પાણીના અવતરણમાં નિમિત્ત બનવા બદલ વડાપ્રધાનએ પોતાના જીવનની ધન્ય ઘડી ગણાવી હતી. વડાપ્રધાનએ કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને બિરદાવતા જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે કચ્છમાં પાણી નહોતું પણ કચ્છના ખેડૂતો પાણીદાર હતા, જેમણે કચ્છના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. કચ્છના વિકાસની સંભાવનાઓને પારખવા સાથે આજે થયેલા કચ્છના વિકાસ અંગે વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે, આશા અને નિરંતર પરિશ્રમથી કોઈપણ પરિસ્થિતિ બદલાઈ શકે તે કચ્છ જિલ્લાએ સાબિત કરી દીધું છે. કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપની વાત કરતાં વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે, ભૂકંપ બાદ દુનિયાને લાગ્યું કે કચ્છમાં હવે કંઈપણ શક્ય નથી. ભૂકંપ બાદ કચ્છીજનોના ખમીર ઉપર મારો વિશ્વાસ ટક્યો હતો અને તેના લીધે જ તમામ સંકટોને પાર કરી, ભૂકંપને પણ કંપાવીને કચ્છીમાડુઓ બેઠા થયા છે. વડાપ્રધાનએ ઉમેર્યું કે, કચ્છ આજે વ્યાપાર અને પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે. આગામી સમયમાં આ પ્રદેશની ભૂમિકા વધુ વિસ્તૃત બનવાની છે. કચ્છ સહિત સમગ્ર દેશના રિન્યૂએબલ ઊર્જાના પ્રોજેક્ટ્સ દુનિયાની ગ્રીન ઈકોનોમી બ્લૂમ કરવામાં કેન્દ્રસ્થાને રહેશે એવો વિશ્વાસ વડાપ્રધાનએ આ તકે વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનએ કહ્યું હતું કે, કચ્છ દુનિયામાં ગ્રીન એનર્જીનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન એ નવા પ્રકારનું ઈંધણ છે. આગામી સમયમાં કાર, બસ, સ્ટ્રીટલાઈટ વગેરે તેનાથી ચાલશે, જે ભારતના ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજન હબમાંનું એક છે. આજે અહીં ગ્રીન હાઇડ્રોજનના કારખાનાનો શિલાન્યાસ થયો છે, તેની ટેક્નોલોજી મેઈડ ઈન ઈન્ડિયાની છે, જે આપણા સૌના ગૌરવની વાત છે. કચ્છ એ ભારતની સૌર ઊર્જા ક્રાંતિના કેન્દ્રમાં છે. વિશ્વના સૌથી મોટા સૌર ઊર્જા પૈકીનો એક આ ક્ષેત્રમાં વિકસાવવામાં આવી રહ્યો છે. ખાવડા સંકુલની સ્થાપના સાથે કચ્છે વૈશ્વિક ઊર્જાના નકશા પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે, એમ જણાવતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, જે રણમાં એક સમયે ધૂળની ડમરીઓ ઊડતી હતી, એ રણ હવે હિન્દુસ્તાનને ઊર્જાવાન બનાવશે. લોકોને પૂરતી વીજળી પણ મળે અને વીજ બિલ પણ ઝીરો થાય તે માટે પી.એમ. કિસાન સૂર્યોદય મફત વીજળી યોજના શરૂ કરી છે. જેમાં ગુજરાતના લાખો લોકો જોડાયા છે. દરિયાકાંઠાના પ્રદેશોના આર્થિક મહત્ત્વ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, દરિયા કિનારો એ વિવિધ દેશોની સમૃદ્ધિનું કારણ બન્યો છે. લોથલ જેવા પ્રાચીન પોર્ટ સિટીઝની ભારતના સમૃદ્ધ વેપારમાં ભૂમિકાનું ઉદાહરણ ટાંકીને વડાપ્રધાનએ કહ્યું હતું કે, તેનાથી પ્રેરિત થઈને સરકાર પોર્ટ સિટીઝનો વિકાસ અને વિસ્તાર કરવા સાથે દેશ પોર્ટના વિસ્તાર અને આધુનિકરણ માટે મોટું રોકાણ કરી રહ્યો છે. દેશના મોટા બંદરોમાં પહેલીવાર એક વર્ષમાં રેકોર્ડ ૧૫ કરોડ ટન કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે. જેમાં કંડલાનું દીનદયાલ પોર્ટ પણ સામેલ છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, દેશના કુલ સમુદ્રી વેપારનો લગભગ એક તૃતિયાંશ કારોબાર કચ્છના બંદરો પરથી થાય છે. આથી કંડલા અને મુન્દ્રાની ક્ષમતા અને કનેક્ટિવિટીને સતત વધારવામાં આવી રહ્યા છે. આજે અહીં શિપીંગને લગતી અનેક સુવિધાઓનું લોકાર્પણ થયું છે. તેમણે કહ્યું હતું કે, આપણા દેશની તેમજ વિદેશની જરૂરિયાતો માટે પણ દેશમાં જ વિશાળ જહાજોનું નિર્માણ કરવામાં આવશે. કચ્છના ઈતિહાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, એક સમયે માંડવી જહાજના નિર્માણ માટે દેશ-દુનિયામાં જાણીતું હતું. અહીંના લોકો મોટા જહાજો બનાવતા હતા. બજેટમાં આ માટે વિશેષ ભંડોળ બનાવવાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે, આપણે હવે શીપ બિલ્ડિંગ ક્ષેત્રમાં હવે શક્તિ લગાડી રહ્યા છીએ. આપણે અહીં વિશાળ જહાજો બનાવીને દુનિયામાં નિકાસ કરીશું. આ ક્ષેત્રમાં રોજગારીની સૌથી વધુ તકો છે. કચ્છની કલા અને વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, હવે કચ્છી કળાને જી.આઈ. ટેગ મળ્યો છે અને કચ્છી કૃતિઓને દુનિયામાં ઓળખ મળી રહી છે. ગુજરાત તથા કચ્છમાં પાણીની તંગીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, કેવડીયાથી લઈને કચ્છ સુધીની જે નહેર બનેલી છે, તેણે કચ્છની કિસ્મત બદલી નાંખી છે. આજે કચ્છની કેરી, ખજૂર, અનાજ, જીરૂ વગેરે પાકો દેશ-દુનિયાના બજારોમાં પહોંચી રહ્યા છે. પ્રવાસનને મોટેપાયે રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવતું ક્ષેત્ર ગણાવતા વડાપ્રધાનએ ટૂરિઝમ ક્ષેત્રે કચ્છની વિશેષતાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કચ્છમાં સમૃદ્ધ ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો અને પ્રકૃતિનું
ઓપરેશન સિંદૂર માનવતાનું રક્ષણ અને આતંકવાદનું અંત લાવવાનું મિશન
કચ્છની ધરા પરથી રૂ. ૫૩ હજાર કરોડથી વધુના લોકાર્પણ-ખાતમુહૂર્ત થયાં - રૂ.૨૩૨૬ કરોડના ૧૮ વિકાસ પ્રકલ્પો જનસમર્પિત - ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ: • રૂ. ૧૨૫ કરોડના ખર્ચે જામનગરમાં ૨૨૦/૬૬ કે.વી. બબરઝર સબસ્ટેશન • રૂ. ૭૫ કરોડના ખર્ચે જામનગરમાં GETCOનું ૧૩૨/૬૬ કાનસુમરા સબસ્ટેશન • રૂ. ૬૯ કરોડના ખર્ચે મોરબીમાં ૧૧ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ – જાંબુડિયા વિડી • રૂ. ૫૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના મંજલમાં ૧૦ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ • રૂ. ૨૦૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના લાકડિયા ખાતે ૩૫ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ • રૂ. ૮૮૭ કરોડના જામનગર જિલ્લાના બબરઝરમાં ૨૧૦ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ • રૂ. ૪૬ કરોડના ખર્ચે અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથમાં ૬૬ કે.વી. HTLS ટ્રાન્સમિશન લાઇનો - માર્ગ અને મકાન વિભાગ • રૂ. ૫૫ કરોડના ખર્ચે કચ્છમાં લાયજા- બાડા- માપર- મોડકુબા-લઠેડી-સાંધાણ-સુથરી રોડનું વિસ્તરણ અને મજબૂતીકરણ. • રૂ. ૫૦ કરોડના ખર્ચે ભીરંડિયારી-હોડકો-ધોરડો ટેન્ટ સિટી માર્ગનું વિસ્તરણ અને મજબૂતીકરણ - પાવરગ્રિડ • રૂ. ૧૮૬ કરોડના ખર્ચે બનાસકાંઠા-સાંખારી પ્રોજેક્ટ – ATC વધારવા માટે ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તાર દીનદયાલ પોર્ટ ઓથોરિટી • રૂ. ૨૨૬ કરોડના ખર્ચે કંડલા ખાતે ઓઇલ જેટી નં. ૮ • રૂ. ૭૭ કરોડના ખર્ચે કંડલામાં કાર્ગો જેટી વિસ્તારમાં ડોમ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ ગોડાઉન્સ • રૂ. ૭૫ કરોડના ખર્ચે આદિપુરથી કાર્ગો બર્થ ૧૬ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૧ સુધી માટે વધારાની રોડ કનેક્ટિવિટી • રૂ. ૧૦૦ કરોડના ખર્ચે કંડલામાં EXIM કાર્ગોના સ્ટોરેજ માટે પોર્ટ વિસ્તારનું વિસ્તરણ • રૂ. ૪૧ કરોડના ખર્ચે ટુના-ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ માટે કોમન કનેક્ટિવિટી • રૂ. ૬.૫ કરોડના ખર્ચે ગોપાલપુરીની પોર્ટ કોલોનીમાં ડી ટાઇપ ક્વાર્ટર્સ • રૂ. ૬.૫ કરોડના ખર્ચે ગાંધીધામની ડી.પી.એ. પ્રશાસનિક કચેરીમાં સેંટર ઓફ એક્સલન્સ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ • રૂ. ૩૩ કરોડના ખર્ચે માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારનો વિકાસ અને સુવિધાઓ