-
Today 18-01-2026 05:05:am


ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા માટે એક અદ્ભુત અને મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. રેલવેના આ પગલાને કારણે, ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મુસાફરી દરમિયાન ક્યારેય રોકડની અછતનો સામનો કરવો પડશે નહીં. ભારતીય રેલ્વે ટ્રેનોમાં એટીએમ સુવિધા પૂરી પાડવાની યોજના બનાવી રહી છે અને તેનું ટ્રાયલ પણ સફળ રહ્યું છે. ગઇકાલે રેલવેએ મનમાડ અને મુંબઈ વચ્ચે દોડતી પંચવટી એક્સપ્રેસમાં એટીએમનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ એટીએમ ટ્રેનના એસી કોચમાં લગાવવામાં આવ્યું હતું. હવે એવું માનવામાં આવે છે કે રેલવે આગામી સમયમાં ઘણી ટ્રેનોમાં એટીએમ સુવિધા શરૂ કરી શકે છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, પંચવટી એક્સપ્રેસમાં એટીએમનું પરીક્ષણ સફળ રહ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે ઇગતપુરી અને કસારા વચ્ચેના નો-નેટવર્ક વિસ્તારમાંથી પસાર થતી વખતે, એટીએમ મશીનને સિગ્નલ મળ્યું ન હતું, જેના કારણે વ્યવહાર થઇ શક્યો ન હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇગતપુરી અને કસારા વચ્ચેની મુસાફરી દરમિયાન, ટ્રેન ઘણી ટનલમાંથી પસાર થાય છે, જેના કારણે આ વિભાગમાં દરેક જગ્યાએ સિગ્નલ ઉપલબ્ધ નથી. ભુસાવલના ડીઆરએમ ઇતિ પાંડેએ જણાવ્યું કે ટ્રાયલના પરિણામો સારા હતા. મુસાફરો હવે ચાલતી ટ્રેનમાં પણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. અમે સમગ્ર મુસાફરી દરમિયાન એટીએમ મશીનની કામગીરીનું નિરીક્ષણ કરતા રહીશું.